કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે

July 17th, 2009

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

- ‘શૂન્ય’ પાલનપુરી

નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

February 18th, 2009

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.
જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,
નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

- શૂન્ય પાલનપુરી

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ

January 1st, 2009

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

- ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી

November 2nd, 2008

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે

October 3rd, 2008

બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,
છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;
કોઈની આંખોથી આંખો મેળવી, પીતો રહે,
દિલના અંધેરા ઉલેચી, રોશની પીતો રહે.

- શૂન્ય પાલનપુરી “ખૈયામ”

હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?

September 23rd, 2008

નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

- શૂન્ય પાલનપુરી

પ્રેમ કાજે, પ્રેમ દ્વારા, પ્રેમ કેરા ટાંકણે

September 17th, 2008

પ્રેમ  કાજે,   પ્રેમ  દ્વારા,   પ્રેમ  કેરા  ટાંકણે,
સર્જકે  મુજ  શિલ્પ  કંડાર્યું  જીવનના આંગણે;
દિલને ઘડતાં રજ ખરી એનાથી જે કૂંચી બની,
કામ   લાગી   જ્ઞાનના   ભંડાર   કેરા  બારણે.

- શૂન્ય પાલનપુરી

પરિકરના જેવું આ જીવન આપણું

July 3rd, 2008

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

- ઉમ્મર ખૈયામ ( અનુવાદ : શૂન્ય પાલનપુરી)

ગુજરાતી ગઝલ અંતાક્ષરી

June 10th, 2008

આ શેર અંતાક્ષરીનાં સર્જક પ્રો. સુમન અજમેરીનો પણ મુદ્રણ પરવાનગીઆપવા બદલ આભાર
આ શેર અંતાક્ષરી ટાઈપ કરી અત્રે રજુ કરવા બદલ દેવીકાબેન ધ્રુવ નો આભાર.

————————————————————————

ઢમ ઢમ બાજે ઢોલ નગારાં, યારો રમવા આવો;
શેર,ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો..        ( પ્રો.સુમન અજમેરી  )

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.                  ( આદિલ મનસુરી )

લાખ વર્ષો બાદ લાગી બદદૂઆ ડૂબનારની,
સાગરો સુકાઇ જઇને રણ બિચારા થઇ ગયાં..           ( બેફામ )

યા પ્યારથી એને પંપાળો, યા ક્રુર થઇને ધૂત્કારો,
આ લોકે રહે કે પરલોકે,સાગર તો તમારો કહેવાશે.     ( સાગર કુતિયાનવી )

શૂન્ય,મારી જીંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ આ ગુજરાતની.           (શૂન્ય પાલનપુરી )

ન ધરા સુધી ન ગગન સુધી ,નહીં ઉન્નતિ ન પતન સુધી,
પણ આપણે તો જવું હતું,બસ એકમેકના મન સુધી.    ( ગની દહીંવાલા )

ધરમનું નામ દઇ શાને પીવાડો પ્રેમની પડીકી ?
જશે રહેંસાઇ માસુમો,નરાધમ હિંસ્રની ધરતી.             ( પ્રો.સુમન અજમેરી )

તને કોણે કીધું કે હું રંક છું,નથી રંક રાયનો રાય છું.
મને તોળ સત્યને છાબડે કે હું સત્યલોકનો ન્યાય છું.   ( અમૃત ઘાયલ )

છૂટી લટ ,ગુલાબી ચહેરો,આંખમાં શરમ,
પ્રિયે,છબીમાં યે તું કેવી શરમાયા કરે ?                    ( નઝીર શાયર )

રસમ અહીંની જુદી,નિયમ સાવ જુદા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.                           ( મનોજ ખંડેરિયા )

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.                     ( મરીઝ )

છે ભીડ અહીં એકલતાની ને શહેર છે આ સન્નાટાનું,
ને નામ વગરના સ્ટેશનનો સંભાવ લઇને દોડું છું.      ( પ્રફુલ્લા વોરા )

છે આબરુનો પ્રશ્ન,ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઇ કે આંખો સજલ હતી..                  (  અમૃત ઘાયલ  )

તું ઢાળ ઢોળિયો ને હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.                    ( મનોજ ખંડેરિયા )

ન ધર્મભેદ છે એમાં, ન એની જાત મરીઝ,
આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે કે રામ રામ ગઝલ ?  ( મરીઝ )

લઇને હવે સાતેય અશ્વોને પલાણો આપણે
કે નપુંસક નીકળ્યો છે,શ્વાસ નામે સારથી.               (હરીશ ધોળી )

થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી,
ઇર્શાદ આપણે તો ઇશ્વરના નામે વાણી.                  ( ડો.ચીનુ મોદી )

નવાઇ તો છે કે ઉંડાણો ય છીછરા નીકળે,
કોઇ મનુષ્યની અંદર ડૂબી શકાતું નથી.                 ( રમેશ પારેખ )

થાકીને સાંજને ટાણે ‘રસિક’ બેસવું પડ્યું,
નહીંતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા.            ( રસિક મેઘાણી )

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી,
હું જ મારાથી હજું કેટલો યે દૂર છું.                        (  કિસ્મત કુરેશી )

છે હ્ર્દય ને આંખની ભાષા અલગ,
કોણ કોની આપશે ઓળખ હવે.                              ( અહમદ ગુલ )

વેશ બદલી રોજ તું આવે રઇશ એની સમીપ,
જિંદગી ચાલાક છે,હરદમ પિછાણી જાય છે.           (  ડો.રઇશ મણિયાર )

છે દિશાઓ ધુંધળી ને મંઝિલો નથી,
શ્વાસના બળતા ધખારે ક્યાં લગી જાશું ?              (  આહમદ મકરાણી )

શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ સુધી મને,
રસ્તો ભૂલી ગયો ને દિશા ફરી ગઇ.                     ( ગની દહીંવાલા )

ઇશ્વરની મૂઠ્ઠીમાંથી જે છટકી ગઇ કદી,
તે તો માણસ નામની જણસ હતી.                      ( ભગવતીકુમાર શર્મા )

તું મને એક ઝાંઝવું સમજે કે સમજે વાદળું,
આંગણે તારે વરસવા આ જનમ લીધો હતો.         ( ડો.અશરફ ડબ્બાવાલા )

તોય હું ભરવા મથું આખી નદી,
જીંદગી છે સાવ કાણી બાલદી.                           ( અશોકપુરી ગોસ્વામી )

દીધો’તો સ્વર્ગમાંથી જાકારો હે પ્રભુ,
બીજે ક્યાં જાય,નર્ક ભણી આદમી ગયાં.               ( મરીઝ )

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું,ઓગળી જઇશ.            ( હરીન્દ્ર દવે )

શમાની વાત કરશો ના, દીવાની લૌને રોકે ફો’ ?
ભરી પરવાનને પાંખે જલીને રાખ થાવું છે.           ( પ્રો. સુમન અજમેરી )

છે હરણની ફાળ જેવા ઓરતા,
ને અરણમાં કચબો પાળ્યો તમે.                          ( કરસનદાસ લુહાર )

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસથી તો હજે કળ વળી નથી.             ( જલન માતરી )

થાકી ગયો તો હું કે ચાલી શકત ન હું,
સારુ થયું કે લોક તો ઉંચકી ગયા મને.                ( કૈલાસ પંડિત )

નજર લાગી હજારો વાર હળવા ફૂલ હૈયાને,
કહો પાષાણ દિલને કોઇની ક્યારે નજર લાગી?     ( વિશ્વરથ )

ગળેથી જરા ઉતરી કે તોફાની થઇ ગઇ,
હતી જામમાં સાવ સાદી મદિરા !                       ( મરીઝ )

રંગબેરંગી જીવનના રંગ છે,
જાઉં છું  ખીલવા ને ખરતો જાઉં છું.                      ( અમૃત ઘાયલ )

છાંય મળતી જાય પડછાયા વગર,
ગીતમાં સરતો રહું ગાયા વગર.                      (  મનોજ ખંડેરિયા )

રોજ એના એજ સાલા ફેફસાં વેંઢારવા,
રોજ એનું એ જ જીવ પર આવવું,શું ચીજ છે ?  ( રમેશ પારેખ )

છેક પરપોટા સમી છે જીંદગી પણ,
નિત ઝરણાંની ગતિ છલછલ છલકવું.               ( ગુણવંત ઉપાધ્યાય )

વિરાટ પંથમાં થાકી વિરામ કરવા પણ,
પરાઇ ભીંતના છાંયે કદી નથી બેઠા.                 ( રસિક મેઘાણી )

ઠાઠ ભપકા એ જ ઇર્શાદના હવે
ઘર બળે તો તાપી લેવું જોઇએ.                         ( ડો. ચિનુ મોદી )

એ જ મુસાફિર જગમાં સાચો જેની પાછળ મંઝિલ ભટકે,
દીપ પતંગને કોઇ ન રોકે,પ્રીત અમારી સૌને ખટકે.     ( આસિમ રાંદેરી )

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.               ( જલન માતરી )

થઇ જાય પાંચે આંગળીઓ તુર્ત કાગડો,
મુઠ્ઠી તમે એ શહેરમાં ખોલીને શું કરો ?                    ( રમેશ પારેખ )

રડ્યું નથી છતાં ઓછપે ઘવાયું છે,
સવારનું આભ આમ ઝંખવાયુ છે.                             ( ડો. હેમંત દેસાઇ )

છું સતત અચરજ સ્વયં અસ્તિત્વ પર,
તું તપાવે તોયે હું તું જ પર ઠરું.                              ( અગમ પાલનપુરી )

રમું છું રંગીન મોસમની સાથે,તો ક્યારેક સંગીન જોખમની સાથે,
સરળતાથી ચાલું છું મુશ્કેલ પંથે,મને એવી આ જીંદગાની ગમે છે. ( શેખાદમ આબુવાલા )

છો હતી દુ:ખના સંકજામાં અમારી જીંદગાની,
તોય કો’ દિ હામ ખોઇ,ન કો’ દિ’ હાર માની.              ( રિન્દ ગુજરાતી )

ન ગગન ફરેબ આપે, ન ધરા ફરેબ આપે,
જો હ્ર્દય ફરેબ આપે,તો બધા ફરેબ આપે.               ( અબ્દુલ રઝાક ‘રશ્ક’ )

પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇનાથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે. (શૂન્ય પાલનપુરી )

છે ગજું કોનું કે સીમા-કદ કશું માપી શકે ?
ધરતીના પેટાળથી આભે ચઢી છે જીંદગી.             ( અંબાલાલ ડાયર )

ગુનામાં ભાર હોતે તો દબાઇ રે’તે તળિયામાં,
અભાગી લાશ છે,તરતી રહી દરિયાના સીના પર.   ( શવકીન જેતપુરી )

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર, ને  મારી હાજરી ન્હોતી.    ( બેફામ )

તમારા આ નાજુક પગોની ફિકર છે,
અમારા નગરની છે પથરાળ સડકો.                       (દીપક બારડોલીકર )

કંકુ પગલે થઇ કસુંબલ કોરે આ કાળજાની કાંચળી સરકી પડી,
ઉગતું એકાંત મારું પાંપણે આપને જોયા પછી થથરી ગયુ      (બાબુ દિલજલા )

યૌવનના ઘોડાપુરમાં સમજાય ક્યાં કશું ?
ત્યારે તો રોમે રોમમાં ઉન્માદ હોય છે.               (આદિલ મનસુરી )

છે અકળ બધી એની હિલચાલો બધી,
મન સમું છે કોણ બીજું મુત્સદ્દી ?                       (અશોકપુરી ગોસ્વામી )

દર્દ ઘૂંટાયું જિગરમાં એટલું,ઠેઠ લગ એ ઝેર થઇ વકરી ગયું,
મોત પણ મારી દશાને જોઇએ શોકમાં ડૂબી મને વિસરી ગયું.  ( બાબુ દિલજલા )

યુગયુગથી પીએ સરિતા,સાગર તોયે પ્યાસો છે,
નહીંતર મેઘો ઉમટે ના કેકારવ છલકાયો છે.      (દીપક બારડોલીકર )

છે સલામત સ્વપ્ન કોનું વિશ્વમાં ?
ક્યાં સિકંદરની કશી છાયા મળે ?                   ( ચંદુ મહેસાનવી )

લાખ સૃષ્ટિની સુરાહી છલકાયા કરે,
જીંદગી પીનારની તળિયા વિનાનું જામ છે.    ( શૂન્ય પાલનપુરી )

છે હયાતી ચીજ એવી અજનબી,
ચીંથરામાં હોય જાણે કો’ નવાબ !                  ( આહમદ મકરાણી )

બને તો એમને કહેજો ખુશ્બૂ મ્યાનમાં રાખે,
બગીચામાં હમણાં બધા ફૂલોની ઘાત ચાલે છે. ( મનહર મોદી )

છણકો કરીને ઠેક લો તો ચાલમાં ગઝલ,
ને ઝાંઝરી રણકી ઉઠે તો પાયમાં ગઝલ.           ( યોસેફ મેકવાન )

લાગણીઓની સુલતાની પર રાજ કહો કોનું ચાલ્યું?
રચનારની એક કળી જીતી ગઇ ઝાંઝરના ઝણકારથી. ( ગોપાળ શાસ્ત્રી )

થઇ ધાડપાડુ ત્રાટકે સાહિલ ભલે સમય,
ટહૂકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.                    ( સાહિલ )

છે કાળ તો કાલીય નાગ જેવો,
થતું ઝેર સૌ જે હવે એ અડે છે.                             ( ઉશનસ )

છું શાંત અને ગંભીર ભલે, શરમાળ છે મારાં તીર ભલે,
ઓ પૂનમ, ઘૂંઘટ જરા ખોલ, હું એ જ છલકતો સાગર છું. ( શેખાદમ આબુવાલા )

છોડી રહ્યો છું આજ હું આ બંધિયાર વિશ્વને,
કાયમના માટે કોણ રહે આ કારાવાસમાં ?             ( ઘાયલ કુતિયાનવી )

મત્સ્ય ક્યાં જળવટું લઇને જશે ?
કાંઠે રેતીના પારાવાર ઉભા.                                ( ડો. રશીદ મીર )

ભલે ભપકા ભરેલો છું,છતાં અંગાર વેચું છું,
તને નીચો નમાવે એ બધો આભાર વેચું છું.           ( મનહર મોદી )

છેક તળિયેથી ઉલેચાવું પડે,
શબ્દને સમજાવવો સહેલો નથી.                         ( નટવર વ્યાસ )

થઇ ગયો એક જ ચમત્કારે તું  ઇશ્વર,
મને માનવ થતાં બહું વાર લાગી.                       ( જિગર ટંકારવી )

ગુલાબી શીત પાલવને પ્રસારો તો ઘણું સારું,
ગરમ કિરણોને ગાળીને હજી હમણાં જ આવ્યો છું.  (  ડો. એસ. એસ. રાહી )

છતાં મુજ પૂર્ણતામાં ‘શૈલ’ ઓછી થાય છે કૈં પણ
સનાતન શૂન્યમાં અસ્તિત્વ મારું નિત્ય ખોઉં છું.   ( શૈલ પાલનપુરી )

છણા થાપું,નાણા થાપું,થાપું આંખે અંધારાં,
તોય તને ક્યાં પામું ?ભૂંડા આયખાને ડંગોળી લૌ.  ( પ્રો.સુમન અજમેરી )

લેશ પણ ભય ના સૂકાવાનો રહે,
માંયલો જેનો સમંદર સાત છે.                            ( ડો.ઉષા ઉપાધ્યાય )

છો હોય તે દૂર ગગન પર,ને હોય સર્વવ્યાપી,
અદભૂત સ્પર્શવાનું સૂરજ સમું તમારું.                 ( સંધ્યા ભટ્ટ )

રાત-દિ ઝૂલે વસંતી લ્હેર મધુવનમાં ભલે,
મ્હેંક મબલખ માણવાને શ્વાસ જેવું જોઇએ.          ( સુશીલ પાલનપુરી )

એ જ તું ને એ જ હું,એ જ ઓશીકે આજ તો સૂતાં ફેરવી મોંઢાં
તણખા ઝરે,બરડા અડે,અણજાણે ટકરાય દો લોઢાં.  ( જગદીશ વ્યાસ )

ઢબૂક્યાં ઢોલ ચોરે અમે ગુલમ્હોર પીધો.
ખુશીથી ખોબે ખોબે અમે ગુલમ્હોરે પીધો.             ( દીપક બારડોલીકર )
————————————————————————

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ

May 29th, 2008

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !
- ઉમર ખૈયામ
( અનુ.’શૂન્ય’ પાલનપુરી )

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books