માણસ

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

- ભગવતીકુમાર શર્મા

This entry was posted on Tuesday, December 23rd, 2008 at 2:58 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “માણસ”

  1. હેમંત પુણેકર Says:

    વિકાસભાઈ,

    આપે ખૂબ હૃદયસ્પર્શી વાત કરી. માનવ હોવાના દર્દને વાચા આપતી વાત છે. ઘણીવાર મને એમ લાગે છે સાહિત્યમાં આધ્યાત્મનો overdose થઈ જાય ત્યારે ઈશ્વરી સત્તાના ગુણગાન ગાવામાં માનવીય ગરીમાનું હનન થાય છે. આપના લખાણમાં માનવતાનું ગૌરવ દેખાઈ આવે છે. આવા લખાણ બદલ આપનું મનપૂર્વક અભિનંદન!

    એક નાનકડો સુધારો: ભગવતીકુમાર શર્માની ગઝલની પંક્તિ (આપે લખેલી ચોથી પંક્તિ) “અમે વારસાગત સમસ્યાના માણસ એવી છે. આખી ગઝલ અહીં ઉપલબ્ધ છે. http://www.gujaratikavita.com/2008/12/23/manas/

Leave a Reply