જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

- મરીઝ

This entry was posted on Thursday, September 11th, 2008 at 5:24 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું”

  1. jalal mastan 'jalal' Says:

    ‘બેફામ’ અને ‘મરીઝ’ સાહેબની તો વાત જ ન કરી શકાય. જાતને મારીનેય ગઝલને એમણે જીવંત રાખી છે. આજકાલના શાયરોમાં કોઈ એમની તોલે ન આવે. ઉમાશંકરનાં વ્યાખ્યાનો જોયાં હશે, આ શાયરોનાં જોયાં? એ જ દર્શાવે છે કે એ સરળ રહ્યા છે.

    જલાલ મસ્તાન ‘જલાલ’ (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)
    jalalmastanjalal.wordpress.com

Leave a Reply