કવિ-પત્નીની ગઝલ
કવિતામાં તારું તું જીવન વિતાવે,
મને એમાં કે એને મુજમાં જીવાડે ?
મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે,
તું કોને વધુ દિલની નજદીક રાખે?
અહર્નિશ ને અઢળક પ્રણય આપણો, પણ
કશું છે જે આ રોમેરોમે દઝાડે.
વખાણોના કાંટે મને ભેરવીને
તું તારું જ ધાર્યું હંમેશા કરાવે.
દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
તને દુઃખ પડે તો તું કાગળને બાળે.
રદીફ-કાફિયાવત્ ગણ્યું મારું જીવન,
શું માણસ ગણી તેં મને કોઈ કાળે ?
તું ક્યારે પતિ છે ને ક્યારે કવિ છે -
આ દ્વિધાની સૂડી જીવાડે કે મારે?
મળે લાશ મારી તો શું થાય, જો કોઈ
પ્રસિદ્ધિના પાયાના પથ્થર ઉખાડે ?!
આ કાગળ એ મારા સમયનું કફન છે,
મને શબ્દે શબ્દે ધીમે ધીમે દાટે.
- ડૉ.વિવેક મનહર ટેલર