કવિ-પત્નીની ગઝલ

કવિતામાં તારું તું જીવન વિતાવે,
મને એમાં કે એને મુજમાં જીવાડે ?

મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે,
તું કોને વધુ દિલની નજદીક રાખે?

અહર્નિશ ને અઢળક પ્રણય આપણો, પણ
કશું છે જે આ રોમેરોમે દઝાડે.

વખાણોના કાંટે મને ભેરવીને
તું તારું જ ધાર્યું હંમેશા કરાવે.

દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
તને દુઃખ પડે તો તું કાગળને બાળે.

રદીફ-કાફિયાવત્ ગણ્યું મારું જીવન,
શું માણસ ગણી તેં મને કોઈ કાળે ?

તું ક્યારે પતિ છે ને ક્યારે કવિ છે -
આ દ્વિધાની સૂડી જીવાડે કે મારે?

મળે લાશ મારી તો શું થાય, જો કોઈ
પ્રસિદ્ધિના પાયાના પથ્થર ઉખાડે ?!

આ કાગળ એ મારા સમયનું કફન છે,
મને શબ્દે શબ્દે ધીમે ધીમે દાટે.

- ડૉ.વિવેક મનહર ટેલર

This entry was posted on Tuesday, June 17th, 2008 at 2:37 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply