ભાવનગરમાં સ્થપાઈ છે અનોખી ગઝલ સ્કૂલ!

સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આ શહેરમાં ‘ભાવનગર સ્કૂલ ઓફ ગઝલ અને આનુષાંગિક અભિયાન’ની સ્થાપના દ્વારા ન ભૂલાય તેવું પ્રદાન થયું છે. ગઝલકાર ગુણવંત ઉપાઘ્યાય, દિલેર બાબુ, અરુણ દેશાણી, શશિકાંત ભટ્ટ ‘શૈશવ’, ડો. પથિક પરમાર, ડો.વિનોદ જોશી, ડો. રમણિક ભટ્ટી, પ્રો. પથિક પરમાર,પ્રા. મહેન્દ્ર અંધારિયા જેવા ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકારો અને શિક્ષણકારોએ હાથ ધરેલું અભિયાન સાકાર કર્યું છે.

નવ-નવ યુનિવર્સિટીઓ અત્યારે ગુજરાતમાં કાર્યરત છે ત્યારે આ ભગીરથ કાર્ય આ સર્જકોએ સ્વેરછાએ ઉપાડી લઇ એક નવો દાખલો બેસાડયો છે. અત્યારે ગુજરાતી ભાષામાં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક અને વાર્ષિક વગેરે ૨૩૦૦ જેટલા સામયિકો પ્રકાશિત થઈ રહ્યાં છે, અને દિન-પ્રતિદિન એની સંખ્યા વધતી જ જાય છે. જેમાં આશરે ૧૫૦૦ કવિતાઓ દર મહિને પ્રકાશિત થાય છે.

આ પૈકી ૭૦૦ ગઝલો દર માસે પ્રકાશિત થાય છે, એટલે કે વષર્માં સરેરાશ ૮૪૦૦ ગઝલો પ્રકાશિત થાય છે. આવા સામયિકોને હંમેશા સારી ગઝલોનો અભાવ રહે છે. ૭૫ ટકા ગઝલો કોઇ ન કોઇ કમી અથવા ત્રુટીને કારણે પ્રકાશન યોગ્ય નથી હોતી. આનું કારણ એ જ છે કે એના કવિને પોતાની સહજ લેખન પ્રતિભાને સંપૂર્ણ રીતે વિકાસ કરવા માટે જરૂરી પ્રશિક્ષણ તથા યોગ્ય માર્ગદર્શન મળતું નથી.

પરદેશમાં ઘણી જગ્યાએ વિશ્વવિધાલયોમાં લેખનકળાનું શિક્ષણ અપાય તે માટે અલગ વિભાગ છે. તેમ જ અનેક વિધાલય ટપાલ દ્વારા પણ પ્રશિક્ષણ આપે છે. ભારતમાં હિન્દી ભાષામાં ‘કહાની લેખન મહાવિધાલય’ દ્વારા વાર્તા માટે પ્રશિક્ષણ અપાય છે પરંતુ ગુજરાતી ભાષામાં ‘સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ (ગુજરાતી ગઝલ વિધાપીઠ) આ પ્રકારની સર્વપ્રથમ અને એકમાત્ર સંસ્થા છે.’ જેને ટ્રસ્ટ નોંધણી સાથે કાયદેસરની માન્યતા મેળવી આ અકાદમિક કાર્યને સંપૂર્ણ ઓપ અપાઇ ચૂકયો છે.

‘સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ’(ગુજરાતી ગઝલ વિધાપીઠ)ના અઘ્યક્ષ ગુણવંત ઉપાઘ્યાયે જણાવ્યું કે,સાહિત્ય જગતમાં ગઝલકારોની વધતી જરૂરિયાતને ઘ્યાનમાં રાખીને આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જે દ્વારા ગઝલકાર બનવાની મહત્વાકાંક્ષા ધરાવતી વ્યકિતઓને ગઝલ લેખનનું પ્રાથમિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શિક્ષણની સહાયતાથી નવોદિત ગઝલકાર ગુજરાતી સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં નામના, લોકચાહના અને આર્થિક લાભ પણ પ્રાપ્ત કરી શકશે.

સંસ્થા વિશે અને તેની શરૂઆત અને અભ્યાસક્રમ વિશેની માહિતી આપતા ગુણવંતભાઇએ જણાવ્યું કે,આ ગઝલ વિધાપીઠ માત્ર સ્થાનિક કે રાજયકક્ષાની જ નહી, પણ રાષ્ટ્રીયકક્ષાની, તદ્દન વિરલ પહેલી અકાદમી છે.એકવર્ષિય આ અભ્યાસક્રમ સંપન્ન થયા બાદ દેશ-વિદેશમાં પણ આ અભ્યાસક્રમનો પ્રારંભ કરીશું. આ ઉમદા કાર્ય ગુજરાતી ભાષાનું, ગુજરાતનું ગૌરવ બની રહેશે એવી શ્રદ્ધા પણ છે.

વર્ષ દરમિયાન અસલ ગઝલ ગાયકીના સ્થાનિક તથા બહારગામના કલાકારોના જાહેર કાર્યક્રમ માટે અનુદાન, ગઝલ તજજ્ઞ વિઝિટીંગ પ્રોફેસરના જાહેર કાર્યક્રમો પણ યોજીશું તેમ જ ઉર્દૂ, હિન્દી, સિંધી, મરાઠી, બંગાળી અને સંસ્કૃત ભાષામાં લખાતી ગઝલોનો પરિચય અને અભ્યાસકીય અભિગમ કેળવીશું.

પ્રથમ બેચમાં ૧૮ વષર્ના યુવાનથી માંડી ૬૦ વષ્ાર્ના વૃદ્ધ સહિતના પ૦ વિધાર્થીઓ ગુજરાતી ગઝલનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવવા જોડાયા છે તેમને ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપવામાં આવ્યો છે. અભ્યાસક્રમમાં પાંચેક જેટલા કવિઓના ગઝલ સંગ્રહ, ગઝલનું શાસ્ત્રીય બંધારણ, ઇતિહાસ, વિકાસ, નવા આયામો જેવી બાબતોને સાંકળી લેવામાં આવી છે.

શૈક્ષણિક ક્રમમાં પ્રારંભિક-ગઝલ પરિચય અને આસ્વાદ, ગઝલ શાસ્ત્રનો પ્રમાણિત અભ્યાસક્રમનું પ્રમાણપત્ર, સનદકક્ષાનો ડિપ્લોમા, પીજી અનુસ્નાતક કક્ષા અને સંશોધન રહેશે. આ કોર્ષ એક વર્ષનો રહેશે, જે જાન્યુઆરીથી જૂન અને જુલાઇથી ડિસેમ્બર એમ બે સત્રમાં વહેચવામાં આવ્યો છે.દર રવિવારે ગઝલનું શિક્ષણ આપવામાં આવે છે.

વર્ષના અંતે પરીક્ષામાં ચાર પેપર આવશે,જેમાં પ્રથમ પેપરમાં ગઝલનું સ્વરૂપ,બીજામાં ગઝલની વિકાસયાત્રા,ત્રીજામાં છંદશિક્ષણ અને ચોથામાં પ્રેકિટકલ આપવાનાં રહેશે. આ તમામ પેપર ૧૦૦ ગુણના રહેશે. પાઠયપુસ્તક તરીકે કોઇપણ એક કવિનો ગઝલ સંગ્રહ(૩૫થી ૪૦ ગઝલ),ગઝલ વિકાસ યાત્રાના પ્રતિનિધિ ગઝલકારોની ગઝલો(૪૦થી ૪૫ સંખ્યા), ૧૯૪૦થી ૧૯૫૫ દરમિયાનનો કોઇપણ લોકપ્રિય ગઝલ સંગ્રહ અને ૧૯૫૫થી ૧૯૮૦ દરમિયાન પ્રકાશિત થયેલા હોય તેવા કોઇપણ પ્રતિનિધિ ગઝલ સંગ્રહ લેવામાં આવ્યા છે. તજજ્ઞો તરીકે પથિક પરમાર, વિનોદ જોષી, મહેન્દ્રસિંહ પરમાર, ચીનુ મોદી જેવા અનેક કવિ-લેખકો-સાહિત્યકારો સેવા આપશે.

ગુણવંતભાઈને પૂછયું કે, ભાવનગરમાં સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ સ્થાપવાનો વિચાર કઇ રીતે આવ્યો, તો તેમણે જણાવ્યું કે આ વિચાર મને એકાદ વર્ષ પૂર્વે સ્ફુર્યો હતો,જે આજે આ સંસ્થાના રૂપે સાકાર થયો છે. કોઇ એક ક્ષણે ભાવનગર માટે કંઇક કરી છૂટવાનો વિચાર અને ત્યારબાદ ગુજરાતી ગઝલ અંગે એકેડમિક કાર્ય કરવાનો ઝબકારો થયો અને તેમાંથી જ ગઝલ વિશેની પદ્ધતિસરનું શિક્ષણ આપતી આ સંસ્થાનો ઉદય થયો છે.

આ સ્કૂલ શરૂ કરવા માટે મારા સાથી મિત્રો સહિતના અનેક લોકોએ ખૂબ સાથ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ભાવનગર જેવા શહેરમાં તેમણે આ એક અઘરું મિશન હાથમાં લીધું છે. પરંતુ તેમને આશા છે કે,ભાવનગર કે ગુજરાતના જ નહિ પરંતુ વિશ્વના ગુજરાતી ગઝલપ્રેમીઓ અને સાહિત્યરસિકો તેમના અને તેમની ટીમના આ નવતર પ્રયોગને જરૂર વધાવશે.

ગુજરાતી ગઝલ અકાદમી માટે આગામી દિવસોમાં એક સુવિધાયુકત સંકુલ ભું કરવાનો કવિમિત્રોનો પ્રયાસ છે. જેમાં નકશા પ્રમાણે સભાખંડ, લાયબ્રેરી, વર્ગખંડ વગેરેનો સમાવેશ થાય છે. જૉ આ સંકુલનું નિર્માણ થશે તો તે પણ ગુજરાતી ગઝલ ક્ષેત્રે ભાવનગરનું અનોખું યોગદાન રહેશે.

- from divyabhaskar.co.in

This entry was posted on Tuesday, June 17th, 2008 at 6:34 am and is filed under General. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “ભાવનગરમાં સ્થપાઈ છે અનોખી ગઝલ સ્કૂલ!”

  1. shilpa Says:

    Gujaratma ane te pan mara Bhavnagarma Gazal school nu nirman thayu te mate ghana Yuvanoni kalane bahar aavani ek tak ek moklash mali chhe, gazal school ni pragti hamesha thati rahe, good luck all sir’s.

Leave a Reply